< ગીતશાસ્ત્ર 41 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. 2 યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે. 3 બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ: ખ લઈને તેને સાજો કરશે. 4 મેં કહ્યું, “હે યહોવાહ, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે.” 5 મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે, ‘તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?’ 6 જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે. 7 મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે; તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. 8 તેઓ કહે છે, “એક અસાધ્ય સજ્જડ રોગ,” તેને લાગુ પડ્યો છે; હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી.” 9 હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે. 10 ૧૦ પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું. 11 ૧૧ તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો, કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી. 12 ૧૨ તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો. 13 ૧૩ અનાદિકાળથી તે અનંતકાળ સુધી હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ. આમીન તથા આમીન.

< ગીતશાસ્ત્ર 41 >