< ગીતશાસ્ત્ર 39 >

1 મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત. મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ કે જેથી હું મારી જીભે પાપ ન કરું. જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી હું મારા મોં પર લગામ રાખીશ. 2 હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોક વધી ગયો. 3 મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે, 4 “હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો. 5 જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે. 6 નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. 7 હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો. 8 મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો. 9 હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું. 10 ૧૦ હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું. 11 ૧૧ જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે. 12 ૧૨ હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું. 13 ૧૩ હું મૃત્યુ પામું તે અગાઉ, તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું.

< ગીતશાસ્ત્ર 39 >