< ગીતશાસ્ત્ર 18 >

1 મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). જે દિવસે યહોવાહે તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું. 2 યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. 3 હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. 4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે. 5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે. (Sheol h7585) 6 મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી. 7 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા. 8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા. 9 તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો. 10 ૧૦ તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા. 11 ૧૧ તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું. 12 ૧૨ તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા. 13 ૧૩ યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા. 14 ૧૪ તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા. 15 ૧૫ પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા. 16 ૧૬ તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા. 17 ૧૭ તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા. 18 ૧૮ મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો. 19 ૧૯ તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. 20 ૨૦ યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. 21 ૨૧ કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી. 22 ૨૨ હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. 23 ૨૩ વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો. 24 ૨૪ યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે. 25 ૨૫ જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો. 26 ૨૬ જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો. 27 ૨૭ કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો. 28 ૨૮ કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે. 29 ૨૯ કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું. 30 ૩૦ ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે. 31 ૩૧ કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે? 32 ૩૨ ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે. 33 ૩૩ તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે. 34 ૩૪ તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. 35 ૩૫ તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે. 36 ૩૬ તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી. 37 ૩૭ હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ. 38 ૩૮ હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે. 39 ૩૯ કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે. 40 ૪૦ તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું. 41 ૪૧ તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ. 42 ૪૨ પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે. 43 ૪૩ તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે. 44 ૪૪ જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા. 45 ૪૫ વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા. 46 ૪૬ યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ. 47 ૪૭ એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ. 48 ૪૮ તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. 49 ૪૯ માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ. 50 ૫૦ તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

< ગીતશાસ્ત્ર 18 >