< ગીતશાસ્ત્ર 14 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત). મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. 2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી. 3 દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. 4 શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી. 5 તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે. 6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે. 7 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.

< ગીતશાસ્ત્ર 14 >