< નીતિવચનો 22 >

1 સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે. 2 દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે. 3 ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે. 4 વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે. 5 આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે. 6 બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ. 7 ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે. 8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે. 9 ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. 10 ૧૦ ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે. 11 ૧૧ જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે. 12 ૧૨ યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે. 13 ૧૩ આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.” 14 ૧૪ પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે. 15 ૧૫ મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે. 16 ૧૬ પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે. 17 ૧૭ જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ. 18 ૧૮ કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે. 19 ૧૯ તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે. 20 ૨૦ મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે, 21 ૨૧ સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે? 22 ૨૨ ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર, 23 ૨૩ કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે. 24 ૨૪ ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર. 25 ૨૫ જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. 26 ૨૬ વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ. 27 ૨૭ જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય? 28 ૨૮ તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ. 29 ૨૯ પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

< નીતિવચનો 22 >