< માલાખી 4 >

1 કેમ કે જુઓ, તે દિવસ આવી રહ્યો છે, ભઠ્ઠીની પેઠે બળે છે, જ્યારે બધા અભિમાની તથા દુરાચારીઓ ભૂસા સમાન થશે. સૈન્યોના યહોવાહ કહે છે કે, જે દિવસ આવે છે તે તેઓને એવા બાળી નાખશે કે” “તેમનું મૂળ કે ડાળી રહેશે નહિ. 2 પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો. 3 અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો, સૈન્યોના યહોવાહ કહે છે કે, “જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખ જેવા થશે.” 4 “મારા સેવક મૂસાનો નિયમ, જે મેં હોરેબમાં સર્વ ઇઝરાયલને માટે ફરમાવ્યો હતો, તે કાનૂનો તથા વિધિઓ પાળવા યાદ રાખો. 5 જુઓ, યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલીશ. 6 તે પિતાઓનાં હૃદયને દીકરા તરફ તથા દીકરાઓનાં હૃદયને પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું.”

< માલાખી 4 >