< લૂક 13 >

1 તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’” 3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો. 4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? 5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’” 6 ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ. 7 ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’” 8 ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ. 9 જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’” 10 ૧૦ વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા. 11 ૧૧ ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી. 12 ૧૨ ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’” 13 ૧૩ ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી. 14 ૧૪ પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’” 15 ૧૫ પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી? 16 ૧૬ આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’” 17 ૧૭ ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા. 18 ૧૮ ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19 ૧૯ તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’” 20 ૨૦ ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું? 21 ૨૧ તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’” 22 ૨૨ ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’” 23 ૨૩ એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે, 24 ૨૪ ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ. 25 ૨૫ જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો? 26 ૨૬ ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. 27 ૨૭ પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ. 28 ૨૮ જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. 29 ૨૯ તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે. 30 ૩૦ જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે. 31 ૩૧ તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે. 32 ૩૨ ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે. 33 ૩૩ કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી. 34 ૩૪ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ. 35 ૩૫ જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”

< લૂક 13 >