< યશાયા 56 >

1 યહોવાહ એવું કહે છે, “ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો; કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે. 2 જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે, જે વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે.” 3 વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, “યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.” કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.” 4 કેમ કે “જે ખોજાઓ મારા વિશ્રામવારો પાળે છે અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે - 5 તેમને તો હું મારા ઘરમાં તથા મારા કોટમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તરીકે સ્થાપીશ; જે નષ્ટ થાય નહિ એવું અનંતકાળનું સ્મારક હું તેને આપીશ.” 6 વળી જે પરદેશીઓ જોડાયાં છે કે તેઓ યહોવાહની સેવા કરવા માટે અને જેઓ યહોવાહના નામ પર પ્રેમ કરે છે, તેમની આરાધના કરે છે તે, દરેક જે કોઈ વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને જે મારા કરારને દૃઢતાથી વળગી રહે છે - 7 તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના ઘરમાં તેઓને આનંદ કરાવીશ; તેઓનાં દહનીયાર્પણો તથા તેઓનાં બલિદાનો મારી વેદી પર માન્ય થશે, કેમ કે મારું ઘર તે સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે. 8 પ્રભુ યહોવાહ જે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે: “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.” 9 ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ! 10 ૧૦ તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે. 11 ૧૧ તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે. 12 ૧૨ “આવો” તેઓ કહે છે, “આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ; આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે.”

< યશાયા 56 >