< નિર્ગમન 14 >

1 પછી યહોવાહે મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બઆલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે. 3 એટલે ફારુનને એવું લાગશે કે, “ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે.” 4 હું ફારુનનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારો પીછો કરશે. પણ હું તેના લશ્કરનો પરાજય કરીને મારો મહિમા વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું ઈશ્વર છું.” અને ઇઝરાયલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું. 5 જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.” 6 એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું. 7 ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા. 8 યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો. 9 મિસરના લશ્કરના અસંખ્ય ઘોડેસવારો તથા રથસવારો તથા અન્ય સૈનિકોએ ઇઝરાયલીઓનો પીછો કર્યો. અને તેઓ બઆલ-સફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે છાવણીમાં તેઓની નજીક આવી પહોંચ્યા. 10 ૧૦ ફારુન તેઓની નજીક આવી પહોંચ્યો, તે જોઈને ઇઝરાયલીઓને ખબર પડી કે મિસરીઓ તેઓની પાછળ પડ્યા છે! તેથી તેઓ ખૂબ ભયભીત થયા અને તેઓએ સહાય માટે યહોવાહને પોકાર કર્યો. 11 ૧૧ તેઓએ મૂસાને કહ્યું, “તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી. 12 ૧૨ અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું.” 13 ૧૩ પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ. 14 ૧૪ તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.” 15 ૧૫ પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે. 16 ૧૬ તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17 ૧૭ પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે. 18 ૧૮ ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું.” 19 ૧૯ પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. 20 ૨૦ આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ. 21 ૨૧ મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી. 22 ૨૨ ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી. 23 ૨૩ મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. 24 ૨૪ પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો. 25 ૨૫ યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી મિસરના સૈનિકો બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ.” 26 ૨૬ પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથસવારો પર અને તેઓના ઘોડેસવારો પર પાણી ફરી વળે.” 27 ૨૭ એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા. 28 ૨૮ સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ. 29 ૨૯ પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી. 30 ૩૦ આ રીતે તે દિવસે યહોવાહે ઇઝરાયલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇઝરાયલીઓએ સમુદ્ર કિનારે મિસરીઓના મૃતદેહો પડેલા જોયા. 31 ૩૧ અને યહોવાહે મિસરીઓ વિરુદ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને ઇઝરાયલીઓ ગભરાઈ ગયા અને યહોવાહ પર અને તેના સેવક મૂસા પર તેઓએ વિશ્વાસ કર્યો.

< નિર્ગમન 14 >