< પુનર્નિયમ 28 >

1 જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે. 2 જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે. 3 તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો. 4 તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે. 5 તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે. 6 તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો. 7 યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. 8 યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે. 9 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. 10 ૧૦ પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે. 11 ૧૧ અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે. 12 ૧૨ તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે. 13 ૧૩ અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો, 14 ૧૪ અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે. 15 ૧૫ યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે. 16 ૧૬ તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો. 17 ૧૭ તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે. 18 ૧૮ તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે. 19 ૧૯ તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો. 20 ૨૦ જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો. 21 ૨૧ જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે. 22 ૨૨ યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવારથી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે. 23 ૨૩ તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે. 24 ૨૪ તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે. 25 ૨૫ યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો. 26 ૨૬ અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય. 27 ૨૭ મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ. 28 ૨૮ પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે. 29 ૨૯ અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય. 30 ૩૦ તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો. 31 ૩૧ તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય. 32 ૩૨ તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ. 33 ૩૩ જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો. 34 ૩૪ અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો. 35 ૩૫ તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે. 36 ૩૬ જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો. 37 ૩૭ જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો. 38 ૩૮ તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે. 39 ૩૯ તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે. 40 ૪૦ તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે. 41 ૪૧ તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે. 42 ૪૨ તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે. 43 ૪૩ તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો. 44 ૪૪ તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો. 45 ૪૫ તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે. 46 ૪૬ આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે. 47 ૪૭ જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ, 48 ૪૮ માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે. 49 ૪૯ યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે; 50 ૫૦ તે જાતિ વિકરાળ હાવભાવ વાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે. 51 ૫૧ તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ. 52 ૫૨ તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે. 53 ૫૩ જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો. 54 ૫૪ તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. 55 ૫૫ જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય. 56 ૫૬ તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહિ હોય, તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે, 57 ૫૭ પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે. 58 ૫૮ યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો, 59 ૫૯ તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે. 60 ૬૦ મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે. 61 ૬૧ તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે. 62 ૬૨ તમે સંખ્યામાં આકાશના તારાઓ જેટલા હતા તેને બદલે અતિ અલ્પ થઈ જશો, કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી. 63 ૬૩ જેમ યહોવાહ તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તમે યહોવાહ તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે. 64 ૬૪ યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો. 65 ૬૫ આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહિ પડે, તમારા પગનાં તળિયાંને કંઈ આરામ નહિ મળે, પણ, ત્યાં યહોવાહ તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે. 66 ૬૬ તમારું જીવન શંકામાં રહશે; તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહિ રહે. 67 ૬૭ તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવ તું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે, ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે અને સાંજે તમે કહેશે કે, ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય. 68 ૬૮ જે માર્ગ વિષે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહિ. અને તે માર્ગ પર વહાણોમાં યહોવાહ ફરીથી તને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો પણ તમને કોઈ ખરીદશે નહિ.

< પુનર્નિયમ 28 >