< 2 શમએલ 3 >

1 હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા. 2 હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો. 3 તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો. 4 ચોથો દીકરો, તે હાગ્ગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમા દીકરા શફાટયાને અબીટાલે જન્મ આપ્યો હતો, 5 છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો. આ હેબ્રોનમાં દાઉદને જન્મેલા પુત્રો છે. 6 દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો. 7 શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, “તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?” 8 આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે? 9 જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો! 10 ૧૦ એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેરશેબા સુધી હું સ્થાપું.” 11 ૧૧ પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો. 12 ૧૨ પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, “આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે.” 13 ૧૩ દાઉદે જવાબ આપ્યો, “સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ.” 14 ૧૪ પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.” 15 ૧૫ તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી. 16 ૧૬ તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, “હવે ઘરે પાછો જા.” તેથી તે પાછો ગયો. 17 ૧૭ આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, “ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા. 18 ૧૮ તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, ‘મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’” 19 ૧૯ આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો. 20 ૨૦ આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું. 21 ૨૧ આબ્નેરે દાઉદને જણાવ્યું, “હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે.” દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો. 22 ૨૨ પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો. 23 ૨૩ જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, “નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે.” 24 ૨૪ યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો? 25 ૨૫ નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?” 26 ૨૬ જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો. 27 ૨૭ આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો. 28 ૨૮ દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ. 29 ૨૯ આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને કુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે.” 30 ૩૦ આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું. 31 ૩૧ દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકો ને કહ્યું, “પોતાના વસ્ત્રો ફાડો, ટાટના વસ્ત્રો પહેરો અને આબ્નેરના શબની આગળ શોક કરો.” અને દાઉદ રાજા તેના શબને દફનાવવા બીજાઓની પાછળ કબ્રસ્તાનમાં ગયા. 32 ૩૨ તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફ્નાવ્યો. દાઉદ રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો અને તેની સાથે સર્વ લોકો પણ રડ્યા. 33 ૩૩ રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, “જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય? 34 ૩૪ તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે.” સર્વ લોકોએ ફરી એક વાર તેના માટે વિલાપ કર્યો. 35 ૩૫ લોકો સૂર્યાસ્ત અગાઉ દાઉદને ભોજન કરાવવાં તેની પાસે આવ્યા, પણ દાઉદે સોગન લીધા કે, “સૂર્યાસ્ત થયા અગાઉ જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારું મૃત્યુ લાવો.” 36 ૩૬ સર્વ લોકોએ દાઉદનું એ દુઃખ ધ્યાનમાં લીધું. અને રાજાએ જે કંઈ કર્યું તેથી તેમને ખુશી થઈ. 37 ૩૭ તેથી સર્વ લોકો તથા સર્વ ઇઝરાયલીઓ જાણી શક્યા કે નેરના દીકરા આબ્નેરને મારવામાં રાજાની ઇચ્છા ન હતી. 38 ૩૮ રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, “શું તમે જાણો છો કે, આજે ઇઝરાયલમાં એક રાજકુમાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે? 39 ૩૯ હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.

< 2 શમએલ 3 >