< 2 શમએલ 11 >

1 વસંતઋતુમાં જયારે બધા રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા માટે બહાર જતા હતા, ત્યારે દાઉદે યોઆબને, તેના ચાકરોને તથા ઇઝરાયલના સૈન્યને મોકલ્યું. તેઓએ આમ્મોનીઓનો નાશ કર્યો અને રાબ્બાને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. 2 એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી. 3 તેથી દાઉદે માણસ મોકલીને જેઓ તે સ્ત્રી વિષે જાણતા હતા તેઓને પૂછપરછ કરાવી. તો કોઈએકે કહ્યું, “શું એ એલીઆમની દીકરી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા નથી?” 4 દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી. પછી તે પોતાને ઘરે પાછી ગઈ. 5 તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; “હું ગર્ભવતી છું.” 6 પછી દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. 7 ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું, યોઆબ કેમ છે? સૈન્યની શી ખબર છે? યુદ્ધ કેવું ચાલે છે? 8 પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી. 9 પણ ઉરિયા ઘરે જવાને બદલે રાજાના મહેલનાં દરવાજા પાસે રાજાના ચાકરોની સાથે સૂઈ રહ્યો. તે પોતાના ઘરે ગયો નહિ. 10 ૧૦ દાઉદને જણાવવાંમાં આવ્યું કે, “ઉરિયા પોતાને ઘરે ગયો નથી,” તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું શા માટે તારે ઘરે ગયો નહિ?” 11 ૧૧ ઉરિયાએ દાઉદને જવાબ આપ્યો, “કરારકોશ, ઇઝરાયલ અને યહૂદા તંબુઓમાં રહે છે અને મારો માલિક સેનાપતિ યોઆબ અને તેના દાસો ખુલ્લાં મેદાનમાં છાવણીમાં રહે છે. તો હું કેવી રીતે ખાવા, પીવા અને મારી સ્ત્રી સાથે સૂવા મારે ઘરે જાઉં? તમારા અને તમારા જીવના સમ, હું એ પ્રમાણે કરનાર નથી.” 12 ૧૨ તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “આજે પણ અહીં રહે અને કાલે હું તને જવા દઈશ.” તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં રહ્યો. 13 ૧૩ દાઉદે તેને બોલાવ્યો, તેણે તેની આગળ ખાધું, પીધું. દાઉદે તેને નશો કરાવ્યો. તે સાંજે પણ તે પોતાના પલંગ પર દાઉદના ચાકરો સાથે સૂવાને ગયો; પણ પોતાને ઘરે ગયો નહી. 14 ૧૪ તેથી સવારમાં દાઉદે યોઆબ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર ઉરિયાની મારફતે મોકલ્યો. 15 ૧૫ દાઉદે પત્રમાં એમ લખ્યું કે, “ઉરિયાને દારુણ યુદ્ધમાં સૌથી આગળ રાખજે અને પછી તેની પાસેથી તમે દૂર ખસી જજો, જેથી તે દુશ્મનોના પ્રહારથી માર્યો જાય.” 16 ૧૬ યોઆબે નગર ઉપર ઘેરાબંધી કરી હતી, તેણે ઉરિયાને એવી જગ્યાએ ફરજ સોંપી કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શત્રુઓના શૂરવીર સૈનિકોનો મારો રહેવાનો છે. 17 ૧૭ જયારે નગરના માણસો બહાર આવીને યોઆબના સૈન્ય સાથે લડ્યા, ત્યારે દાઉદના સૈનિકોમાંથી કેટલાક મરણ પામ્યા અને ત્યાં ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. 18 ૧૮ યોઆબે યુદ્ધ વિષેના અહેવાલ આપવા દાઉદ સંદેશાવાહકોને મોકલી. 19 ૧૯ ત્યારે તેણે સંદેશાવાહકને આજ્ઞા આપી કહાવ્યું હતું કે, જયારે તુંપાસે યુદ્ધની સર્વ બાબતો રાજાને કહી રહે, 20 ૨૦ ત્યાર પછી જો કે રાજા ક્રોધે ભરાય અને તને એમ કહે કે, “લડવા સારું નગરની એટલી બધી નજીક તમે કેમ ગયા? શું તમે નહોતા જાણતા, કે તેઓ કોટ પરથી હુમલો કરશે? 21 ૨૧ યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખેને કોણે માર્યો? શું એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું તેથી તે તેબેસમાં મરણ નહોતો પામ્યો? શા માટે તમે કોટની એટલી નજીક ગયા?’ પછી તારે ઉત્તર આપવો કે, ‘તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.’” 22 ૨૨ પછી સંદેશાવાહક ત્યાંથી નીકળી અને દાઉદ પાસે ગયો. યોઆબે તેને જે કહેવા મોકલ્યો હતો તે સર્વ બાબતો તેણે દાઉદને કહી. 23 ૨૩ તેણે દાઉદને કહ્યું, “આપણે બળવાન હતા તેનાથી પણ વધારે બળવાન શત્રુઓ હતા; તેઓ અમારી સમક્ષ મેદાનમાં આવ્યા પણ અમે દરવાજાના પ્રવેશદ્વારેથી જ તેમને પાછા પાડ્યા. 24 ૨૪ અને તેના ધનુર્ધારીઓએ કોટ ઉપરથી અમારા પર તીરંદાજી કરી. અને અમારામાંથી કેટલાક માર્યા ગયા અને રાજાના દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.” 25 ૨૫ પછી દાઉદે સંદેશાવાહકને કહ્યું કે, “યોઆબને આમ કહેજે કે, ‘એથી તું દુઃખી ન થતો, કેમ કે તલવાર તો જેમ એકનો તેમ જ બીજાનો પણ નાશ કરે છે. તું નગર વિરુદ્ધ સખત યુદ્ધ કરીને, તેનો પરાજય કરજે.’ અને તું યોઆબને હિંમત આપજે.” 26 ૨૬ જયારે ઉરિયાની પત્નીએ સાંભળ્યું કે, તેનો પતિ ઉરિયા યુદ્ધમાં મરણ પામ્યો છે, ત્યારે તેણે પોતાના પતિને માટે વિલાપ કર્યો. 27 ૨૭ જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે દાઉદે માણસ મોકલીને તેને તેના ઘરેથી મહેલમાં તેડાવી લીધી. અને તે તેની પત્ની થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. પણ દાઉદે જે કર્યું હતું તે ઈશ્વરની દ્રષ્ટિમાં દુષ્ટ હતું.

< 2 શમએલ 11 >