< 2 રાજઓ 18 >

1 હવે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાના કારકિર્દીને ત્રીજા વર્ષે યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો. 2 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું અને તે ઝખાર્યાની દીકરી હતી. 3 તેણે પોતાના પિતૃ દાઉદે જે કર્યું હતું તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. 4 તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડાં કરી નાખ્યા, કેમ કે, તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ “નહુશ્તાન” પાડ્યું હતું. 5 હિઝકિયા ઇઝરાયલના યહોવાહ ઈશ્વર પર ભરોસો રાખતો હતો, માટે તેની અગાઉ કે તેના પછી થયેલા યહૂદાના રાજાઓમાં તેના જેવો કોઈ થયો કે થવાનો ન હતો. 6 તે યહોવાહને વળગી રહ્યો. તેમનું અનુકરણ કરવાનું તેણે છોડ્યું નહિ પણ યહોવાહની આજ્ઞાઓ જે તેમણે મૂસાને આપી હતી તે તેણે પાળી. 7 તેથી યહોવાહ હિઝકિયાની સાથે રહ્યા અને જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી કરી નહિ. 8 તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારેબાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો. 9 હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું. 10 ૧૦ ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું. 11 ૧૧ આશ્શૂરનો રાજા ઇઝરાયલીઓને પકડીને આશ્શૂરમાં લઈ ગયો, તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓનાં નગરોમાં રાખ્યા. 12 ૧૨ કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ. 13 ૧૩ હિઝકિયા રાજાના કારકિર્દીને ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના બધાં કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધાં. 14 ૧૪ માટે યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશ્શૂરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “મેં તને નારાજ કર્યો છે. હવે અહીંથી પાછો જા. તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશ્શૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને ત્રણસો તાલંત ચાંદી અને ત્રીસ તાલંત સોનું આપ્યું. 15 ૧૫ માટે હિઝકિયાએ તેને યહોવાહના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી. 16 ૧૬ તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશ્શૂરના રાજાને આપ્યું. 17 ૧૭ પણ આશ્શૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબ-સારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરુશાલેમ પહોંચ્યા. તેઓ યરુશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ગરનાળા પાસે થોભ્યા. 18 ૧૮ તેઓએ હિઝકિયા રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો ઉપરી હતો તે, નાણાં મંત્રી શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો, તેઓ તેઓને મળવા બહાર આવ્યા. 19 ૧૯ રાબશાકેહ તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશ્શૂરનો મહાન રાજા પૂછે છે કે, “તારો આત્મવિશ્વાસ શેનાથી છે? 20 ૨૦ તું કહે છે, યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે? 21 ૨૧ જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે. 22 ૨૨ પણ જો તમે એવું કહો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,’ તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?’ 23 ૨૩ તો હવે, કૃપા કરી મારા માલિક આશ્શૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ. 24 ૨૪ જો તારાથી ન બની શકે તો તું રથો અને ઘોડેસવારોના માટે મિસર પર ભરોસો રાખીને મારા માલિકના એક પણ સરદારને કેવી રીતે પાછો હઠાવી શકે? 25 ૨૫ શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.’” 26 ૨૬ હિલ્કિયાના દીકરા એલિયાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રૂ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.” 27 ૨૭ પણ રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?” 28 ૨૮ પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું વચન સાંભળો. 29 ૨૯ રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ. 30 ૩૦ “યહોવાહ નિશ્ચે આપણને બચાવશે, આ નગર આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે એવું કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો રખાવે નહિ.’” 31 ૩૧ આશ્શૂરનો રાજા એમ કહે છે કે, હિઝકિયાનું સાંભળશો નહિ, ‘મારી સાથે સુલેહ કરીને મારી પાસે આવો. ત્યારે તમે દરેક પોતાની દ્રાક્ષવાડીમાંથી અને પોતાના અંજીરના વૃક્ષ પરથી ફળ ખાશો, તમારા પોતાના કૂવાનું પાણી પીશો, હું આવીને તમને ત્યાં લઈ જાઉ નહિ 32 ૩૨ ત્યાં સુધી તમારો જે દેશ તમારા પોતાના દેશ જેવો અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષવાડીઓનો દેશ, જૈતૂન અને મધનો દેશ છે ત્યાં તમે જીવતા રહેશો અને મરશો નહિ.’ જયારે હિઝકિયા તમને સમજાવે કે, ‘યહોવાહ આપણને બચાવશે’ તો તેનું સાંભળશો નહિ. 33 ૩૩ શું કોઈ પણ પ્રજાના દેવે કદી પોતાના દેશને આશ્શૂર રાજાના હાથમાંથી બચાવ્યો છે? 34 ૩૪ હમાથ અને આર્પાદના દેવો કયાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરુનને મારા હાથમાંથી છોડાવ્યું છે? 35 ૩૫ આ બધા દેશોના દેવોમાંથી એવા દેવ કોણ છે તેઓએ પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય? તો કેવી રીતે યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવશે?” 36 ૩૬ રાજાએ આજ્ઞા આપી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ” માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. 37 ૩૭ પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તે, નાણાંમંત્રી શેબ્ના અને આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં.

< 2 રાજઓ 18 >