< 2 રાજઓ 12 >

1 યેહૂની કારકિર્દીને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો, તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું તે બેરશેબાની હતી. 2 તે સર્વ દિવસોમાં યોઆશે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, કેમ કે, યહોયાદા યાજક તેને સલાહ આપતો હતો. 3 પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. લોકો હજી સુધી ત્યાં ધૂપ બાળતા અને યજ્ઞ કરતા હતા. 4 યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં, 5 યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે. 6 પણ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી યાજકોએ ઘરમાં કંઈ સમારકામ કરાવ્યું નહિ. 7 ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, “શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતાં નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવાં નહિ, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગાં કરેલાં છે તે, નાણાં જેઓ સમારકામ કરે તેને આપી દો.” 8 યાજકો સંમત થયા કે અમે હવેથી લોકો પાસેથી નાણાં લઈશું નહિ તેમ જ સભાસ્થાનનું સમારકામ કરીશું નહિ. 9 પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો. અને તેને યહોવાહના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધાં નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા. 10 ૧૦ જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા. 11 ૧૧ પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં. 12 ૧૨ લાકડાંના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાહના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યાં. 13 ૧૩ પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા. 14 ૧૪ પણ તેઓ તે તે નાણાં યહોવાહના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને જ ચૂકવ્યાં. 15 ૧૫ તદુપરાંત, તેઓએ જે માણસોને કામ કરનારાઓને નાણાં ચૂકવવા રાખ્યા તેઓની પાસેથી હિસાબ પણ માગ્યો નહિ, કેમ કે, તે માણસો પ્રામાણિક હતા. 16 ૧૬ પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવતાં ન હતાં, કેમ કે, તે નાણાં યાજકોના હકનાં હતાં. 17 ૧૭ તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરુશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો. 18 ૧૮ તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો. 19 ૧૯ યોઆશનાં બીજાં કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 20 ૨૦ તેના ચાકરોએ ઊઠીને ભેગા મળીને કાવતરું કર્યું; તેઓએ યોઆશ પર મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર હુમલો કર્યો. 21 ૨૧ શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું.

< 2 રાજઓ 12 >