< 2 કાળવ્રત્તાંત 21 >

1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો. 2 યહોરામના ભાઈઓ, એટલે ઇઝરાયલના રાજા યહોશાફાટના દીકરાઓ: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાએલ તથા શફાટયા હતા. 3 તેઓના પિતાએ તેઓને પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી તથા કિંમતી વસ્તુઓ ભેટમાં આપી. તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો પણ આપ્યાં. પણ રાજગાદી તો તેણે યહોરામને આપી હતી, કારણ કે તે જયેષ્ઠ પુત્ર હતો. 4 હવે યહોરામ પોતાના પિતાના રાજયાસન પર બેઠો. પછી જયારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાક સરદારોને તલવારથી મારી નાખ્યા. 5 જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. 6 જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો; તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું; અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે તેણે કર્યું. 7 તોપણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો અને તેને તથા તેના વંશજો તેઓનું રાજય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતો ન હતો. 8 યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો. 9 પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા. 10 ૧૦ તેથી અદોમ બળવો કરીને યહૂદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાહએ પણ યહૂદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ, ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. 11 ૧૧ આ ઉપરાંત યહોરામે યહૂદિયાના પર્વતોમાં ધર્મસ્થાનો પણ બનાવ્યાં; તેણે યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી અને યહૂદિયાના લોકોને વ્યભિચારની માર્ગે દોર્યા. 12 ૧૨ એલિયા પ્રબોધક તરફથી યહોરામ ઉપર એક એવો પત્ર આવ્યો કે, “તારા પિતા દાઉદના પ્રભુ, ઈશ્વર કહે છે: તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં, 13 ૧૩ ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને આહાબના કુટુંબની જેમ તેં યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓની પાસે વ્યભિચાર કરાવી છે અને તારા પિતાના કુટુંબનાં તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા, તેઓને તેં મારી નાખ્યા છે. 14 ૧૪ તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારી બધી સંપત્તિ પર મોટી મરકી લાવશે. 15 ૧૫ તને પોતાને આંતરડાંના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારાં આંતરડાં બહાર આવી જશે.” 16 ૧૬ ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા. 17 ૧૭ તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ. 18 ૧૮ આ સર્વ બનાવો બન્યા પછી, ઈશ્વરે તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગુ કર્યો. 19 ૧૯ કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ. 20 ૨૦ જયારે તે રાજપદે નિયુક્ત થયો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. અને તે મૃત્યુ પામ્યો ત્યારે તે લોકોમાં અપ્રિય થઈ પડ્યો હતો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.

< 2 કાળવ્રત્તાંત 21 >