< કરિંથીઓને પહેલોપત્ર 11 >

1 જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો. 2 વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું. 3 હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. 4 જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે. 5 પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે. 6 કેમ કે જો સ્ત્રી માથે ઓઢે નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ. 7 કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે; 8 કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી. 9 પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું. 10 ૧૦ આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે. 11 ૧૧ તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી. 12 ૧૨ કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે. 13 ૧૩ સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો 14 ૧૪ અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે? 15 ૧૫ પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે. 16 ૧૬ પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી. 17 ૧૭ એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને સારુ ભેગા મળો છો. 18 ૧૮ કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું. 19 ૧૯ જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે. 20 ૨૦ તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. 21 ૨૧ કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે. 22 ૨૨ શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી. 23 ૨૩ કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી, 24 ૨૪ અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’” 25 ૨૫ એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’” 26 ૨૬ કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો. 27 ૨૭ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. 28 ૨૮ પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું. 29 ૨૯ કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે. 30 ૩૦ એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે. 31 ૩૧ પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે. 32 ૩૨ પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ. 33 ૩૩ તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ; 34 ૩૪ જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.

< કરિંથીઓને પહેલોપત્ર 11 >